પોરબંદર જિલ્લાના પશુપાલકોને પશુઓના ચારા માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી સરકાર મદદરૂપ બને તે માટે કલેકટર ને આવેદન પાઠવાયું છે.
રાષ્ટ્રીય માલધારી સંઘના પોરબંદરના આગેવાનોએ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ ને કારણે રોગચાળો અને ઘાસચારા ની અછતને લઈને પશુ નિભાવ સહાય ફાળવવા અને પશુધિરાણ માફી આપવા વિનંતી છે. તાજેતરમાં પોરબંદર જિલ્લા સહિત આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે પશુપાલકો માટે અતિશય ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. આ અતિશય વરસાદને કારણે પશુપાલકોના નિરણપૂરા અને ધારાસારો પલળી જઈ ખરાબ થઈ ગયું છે.
પશુઓના ખોરાકરૂપે ઉપયોગ થતો મગફળીનો ભૂકો (મોકવિયું) અને કપાસના પાક પણ બગડી ગયેલા છે. આ પરિસ્થિતિમાં પશુઓ અને ગૌમાતાઓના નિભાવ માટે પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તે ઉપરાંત, આ સમયે અમુક જિલ્લામાં પશુઓમાં ખરવા રોગ ફેલાયો છે અને ગૌમાતાઓમાં ફરીથી લંપી રોગ જોવા મળી રહ્યો છે. જેના કારણે પશુધન રોગ અને ભૂખમરાના કારણે મૃત્યુ પામે તેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં ખાસ કરીને ખેતીની જમીન વિહોણા માલધારીઓ માટે આખા વર્ષનો પશુ નિભાવ શક્ય નથી.
તેથી, એમને વિશેષ રાહતરૂપે આર્થિક સહાય તથા ઘાસસારો સહાય ફાળવવા અને પશુ ધિરાણ યોજના હેઠળ પણ નિભાવ નું ધિરાણ લીધેલ પશુપાલકો ને ધિરાણ માં માફી આપવા સરકારને વિનંતી છે. પોરબંદર જિલ્લાના તમામ પશુપાલકો તરફથી વિનંતી છે કે સરકાર દ્વારા તાત્કાલિક અસરથી પશુપાલકોને પશુ નિભાવ માટે આર્થિક સહાય ફાળવવામાં આવે, પશુ નિભાવ નું ધિરાણ માફ કરવામાં આવે જેથી પશુઓના નિભાવમાં સહાય મળે અને પશુપાલન વ્યવસાય ને ગૌશાળાઓમાં ગૌસેવાના કાર્યને સતત રાખી શકાય.આશા છે કે આપ સહાનુભૂતિપૂર્વક વિચાર કરી તાત્કાલિક રાહત ફાળવવા અને ધિરાણ માફી માટે યોગ્ય નિર્ણય લેશો.