પોરબંદર
પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રસ્થાપિત પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રીના સાનિધ્યમાં અને દેશ-વિદેશથી પધારેલા શ્રીહરિ ભક્તોની ઉપસ્થિતિમાં ભક્તિસભર વાતાવરણમાં અનેક દિવ્ય કાર્યક્રમો સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.
ગુરુપૂર્ણિમાના પાવન અવસરે આજે સવારે શ્રીહરિ મંદિરમાં બિરાજિત સર્વે વિગ્રહોને વિધિપૂર્વક પૂજન સાથે નુતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પૂજ્ય ભાઈશ્રીએ શ્રીહરિ મંદિરમાં બિરાજિત સર્વે સ્વરૂપોનું પૂજન કરીને દર્શન કાર્ય હતા.
ગુરુપૂર્ણિમાના વિશેષ પર્વમાં સાંદીપનિ સભાગૃહમાં પૂજ્ય ભાઈશ્રીના પાવન કરકમળો દ્વારા વિધિપૂર્વક જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણનું,મહર્ષિ વ્યાસજીનું અને જગદગુરુ શંકરાચાર્યનું પૂજન કરવામાં આવ્યું.ત્યારબાદ આ વર્ષના ગુરુપૂર્ણિમા મહોત્સવના મનોરથી સાંદીપનિ વિદ્યાનિકેતન,ઋષિકુળના ભૂતપૂર્વ છાત્ર દીપકભાઈ અવિનાશભાઈ ભોગાયતા અને પરિવારે પૂજ્ય ભાઈશ્રીના ચરણારવિંદની વિધિપૂર્વક શોડશોપચાર દ્વારા શ્રીરામચરિત માનસની ચોપાઈઓના ગાનથી પૂજા કરવામાં આવી હતી.અને એ સાથે પાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું.અને સૌએ પોતાના સદગુરુની આરતી કરી હતી.એ બાદ પૂજ્ય ભાઈશ્રી એ ગુરુગીતાના પાંચ શ્લોકોનો સૌને પાઠ કરાવ્યો હતો.
પૂજ્ય ભાઈશ્રી નું પ્રવચન
આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે ઉપસ્થિત સૌ ભક્તવૃંદને આજનો સંદેશ આપતા જણાવ્યું હતું કે પ્રેમપૂર્ણ સંબંધમાં પરસ્પર અપેક્ષા સ્વાભાવિક છે. જેવી રીતે દરેક શિષ્ય પોતાના સદગુરુના ચરણની સેવા ચરણપૂજા ઈચ્છે છે પણ એની સામે સદ્ગુરુ પણ પોતાના શિષ્ય પાસેથી વ્યાસ પ્રસાદ અનુકુલ આચરણની અપેક્ષા રાખે છે. અને આજ સાચી ગુરુદક્ષિણા છે. ભલે પૂરેપૂરું નહિ તો થોડા ઘણા સદાચરણની સદ્ગુરુ પોતાના સેવક, શિષ્ય પાસેથી અપેક્ષા રાખે છે. આમ કહીને ઋષિકુમારો દ્વારા જે શ્રીરામચરિત માનસની ચોપાઈઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું તેની ખુબજ પ્રશંસા વ્યક્ત કરી હતી અને વેદમાંથી રચિત બ્રાહ્મણ ગ્રંથોની ઉપયોગીતા સમજાવી હતી .
પૂજ્ય ભાઈશ્રીએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે ચરણ સેવા, ચરણ વંદના, નિત્ય એ ચરણોનો આશ્રય આપણને પ્રાપ્ત થાય એ દૃઢ ભાવથી નિત્ય ચરણપાદુકાની સેવા થવી જોઈએ. સદ્ગુરુ હમેશા પોતાના શિષ્યમાં અવતરીત થવા માંગે છે પણ આપની અંદર સ્વીકૃતિનો ભાવ હોવો જોવો જોઈએ. જેવી રીતે ધરતી વરસાદન પાણીને સ્વીકારે છે . એટલે કે તપનથી તૃપ્તિની યાત્રા કરવી અને પોતાના જીવનમાં અધ્યાત્મિક પ્રકાશ માટે સંનિષ્ઠ પ્રયાસ કરતુ રહેવું .. આવા કઈક ઉપદેશ વાક્યો દ્વારા પૂજ્ય ભાઈશ્રીએ ગુરુપૂર્ણિમાના અવસરે આશીર્વચન આપ્યા હતા.
પુસ્તક વિમોચન
આજના આ મંગલમય અવસરે પૂજ્ય ભાઈશ્રીના કરકમલો દ્વારા ‘સફળતાનો ભાગવત પથ’ ગુજરાતી પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પુસ્તક લોકાર્પણના પ્રસંગે સાત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટના પ્રમુખ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુરુપૂર્ણિમાના અવસરે સાંદીપનિ સંસ્થા સર્વે ટ્રસ્ટીઓ અને સંસ્થા સાથે જોડાયેલા દેશ-વિદેશના અનેક ભાવિકો, ભૂતપૂર્વ ઋષિકુમારો આજે ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીહરિ મંદિરમાં દર્શન કર્યા હતા અને પૂજ્ય ભાઈશ્રીને પ્રણામ કરીને પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.