પોરબંદર
પોરબંદર જીલ્લા ની એક માત્ર સરકારી પોલીટેકનીક કોલેજને ગુણવતા બદલ એનબીએ એક્રેડિટેશન પ્રાપ્ત થયું છે.જેથી અહી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં ઉપયોગી રહેશે.
પોરબંદર જિલ્લાની એકમાત્ર સરકારી પોલીટેકનિક કોલેજને નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશન-દિલ્હી દ્વારા ગુણવતા સભર ટેકનિકલ શિક્ષણ આપવા માટે એક્રેડીટેશન પ્રાપ્ત થયેલ છે.એનબીએ એક્રેડિટેશન કોર્સમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓ ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ અભ્યાસ અને નોકરી મેળવવામાં ખૂબ જ સરળતા અને ફાયદો થાય છે.ગુજરાત રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગ હેઠળ કાર્યરત એવી જિલ્લાની એકમાત્ર સરકારી પોલીટેકનિક કે જેની સ્થાપના વર્ષ ૧૯૬૦માં થઇ હતી.અને તે ગુજરાત રાજ્યની જૂની ટેકનીકલ સંસ્થાઓ પૈકીની એકમાત્ર સંસ્થા છે.
જેમાં ત્રણ વર્ષના ડિપ્લોમા અભ્યાસક્રમો સિવિલ મિકેનિકલ,કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ માટે થાય છે.તાજેતરમાં નેશનલ એક્રેડીટેશન દ્વારા આ સંસ્થાના કોમ્પ્યુટર અને મિકેનિકલ વિદ્યાશાખા માટે આપવામાં આવતા ટેકનિકલ શિક્ષણની ગુણવત્તા, વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ,વિદ્યાર્થીઓનો અભિગમ,કોલેજનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર,અધ્યાપકોની સંખ્યા,પૂરી પાડવામાં આવતી સુવિધાઓ,લેબોરેટરી ની સુવિધાઓ વગેરેના માપદંડો ચકાસવામાં આવ્યા હતા.
આ સઘન ચકાસણીને અંતે સરકારી પોલીટેકનીક ના મિકેનિકલ અને કોમ્પ્યુટર વિભાગને એક્રેડીટેશન પ્રાપ્ત થયેલ છે. દિલ્હીની ટીમની ત્રણ દિવસની મુલાકાત અને ગુણવત્તાના પરીક્ષણો બાદ આ સંસ્થાને એક્રેડીટેશન પ્રાપ્ત કરાયુ છે. એક્રેડીટેશન પ્રાપ્ત થયેલ સરકારી પોલીટેકનીક જિલ્લાની એકમાત્ર કોલેજ છે.કોમ્પ્યુટર વિભાગના વડા અને સંસ્થાના આચાર્ય એમ.ડી. કાલરીયા તથા મિકેનિકલ ખાતાના વડા આર.એમ મોઢા તથા ઇલેક્ટ્રિકલ ખાતાના વડા એમ.જે.અઘારા સહિત તમામ અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવા સતત પ્રયત્ન કરાયા હતા.
જેના પરિણામ સ્વરૂપ સંસ્થાના તમામ સ્ટાફની શિક્ષણ માટેની મહેનત થકી એનબીએ એક્રેડિટેશન પ્રાપ્ત થયેલ છે.
એનબીએ એક્રેડિટેશનકોર્સમાં અભ્યાસ કરવાથી વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉચ્ચ અભ્યાસ અને નોકરી મેળવવામાં ખૂબ જ સરળતા અને ફાયદો થશે તેવું આચાર્ય કાલરીયાએ જણાવ્યું છે.