પોરબંદર
ગત નવેમ્બર મહિનામાં જલપરી નામની ફીશીગ બોટ ઉપર પાક મરીને અંધાધુંધ ફાયરીંગ કરીને એક ખલાસીને મોતને ઘાટ ઉતારવાના બનાવ બાદ કબ્જે થયેલ જી.પી.એસની તપાસ માં આ બોટ અગાઉ બે વખત નો ફીશીગ ઝોનમાં ધુસી હોવાનું સામે આવતા બોટ નાં ટંડેલ સામે પોરબંદર નાં નવી બંદર પોલીસ મથક માં ગુન્હો નોંધાયો છે.
પોરબંદર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઈ એચ.સી ગોહિલે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ વણાકબારાના દિલીપ ઉર્ફે ગડો નટુ સોલકી નામના ટંડેલે જલપરી નામની ફિશિંગ બોટ તા.૬/૧૧/૨૧ પહેલા કોઈપણ વખતે ૬ ખલાસી ઓને પોતાની સાથે રાખી માછીમારી કરવા ભારત-પાક જળસીમા પાસે આવેલ નો ફિશિંગ ઝોનમાં કુલ બે વખત બોટ લઇ જઈને પોતાનો અને અન્ય ખલાસીઓનો જીવ જોખમમાં મુકાઇ તેવું બેદરકારી ભર્યું કૃત્ય કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ જલપરી બોટ ગત તા ૨૬ ઓક્ટોબર ૨૦૨૧ નાં રોજ ફિશિંગ કરવા રવાના થઇ હતી.અને મધદરિયે ભારતીય જળસીમા ની અંદર હતી.ત્યારે પાક મરીન સિક્યુરીટી એ ભારતીય જળસીમા માં ઘુસણખોરી કરી બોટ પર આડેધડ ફાયરીંગ કરતા શ્રીધર નામના ખલાસી નું મોત નીપજ્યું હતું.ત્યાર બાદ આ બનાવ માં પોલીસે જી.પી.એસ કબ્જે કરી એફએસએલ તપાસ હાથ ધરતા અગાઉ આ બોટ કુલ બે વખત નો ફિશિંગ ઝોનમાં લઇ ગયાનું સામે આવ્યું હતું. આથી બોટ નાં ટંડેલ સામે ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.