પોરબંદર
પોરબંદર માં સરકારી મિલ્કતો પર થી જાહેરાત ના તથા સ્વાગત ના બેનરો હટાવવા સામાજિક કાર્યકર દ્વારા કલેકટર ને રજૂઆત કરી છે.
પોરબંદર ના સામાજિક કાર્યકર જયેશભાઈ સવજાણી એ કલેકટર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર ગાંધીની જન્મભૂમિ હોય તેમજ જિલ્લા કક્ષાનું મોટું શહેર હોય જેના કારણે પોરબંદર શહેરમાં અવાર નવાર રાજકીય આગેવાનો આવતા જતા હોય તેમજ ધાર્મિક કાર્યક્રમો થતા હોય તેમજ જુદી જુદી સામાજીક સંસ્થાઓ તેમજ ટયુશન કલાસીસવાળા તેમજ અન્ય જાહેરાતોવાળા સરકારની કોઈપણ જાતની મંજુરી લીધા વગર સરકારી મિલ્કત જેવી કે પીજીવીસીએલ,નગર સેવા સદન તેમજ ટેલીફોન ડિપાર્ટમેન્ટ તેમજ સરકારી ડિપાર્ટમેન્ટની મિલ્કતો તેમજ તેમના થાંભલાઓ પર આવા જુદા જુદા કાર્યક્રમોના બેનરો કોઈપણ જાતની સરકારી મંજુરી લીધા વગર લગાડી આવા પોતાના પ્રાઈવેટ કાર્યક્રમો તેમજ ધાર્મિક કાર્યક્રમો તેમજ પોતાના અંગત સ્વાર્થ માટેની જાહેરાતો વિગેરે લગાડી જાણે કાયમી સરકારી મિલ્કત પોતાની પ્રાઈવેટ મિલ્કત હોય તે રીતે તેનો ઉપયોગ કરતા હોય છે.
તેમજ ઘણા સમયથી આવા બેનરી શહેરના જુદા જુદા સરકારી મિલ્કતો તેમજ થાંભલાઓ પર લગાડેલા રહેતા હોય.આવા બેનરો તાત્કાલીક હટાવવાની જરૂરીયાત છે. કારણ કે આવા બેનરોના કારણે ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ ગંભીર અકસ્માત થાય અથવા તો જાનહાની થાય તેવી શકયતા રહેલ છે. તાજેતરમાં ચોમાસાનો સમય નજીક હોય જેથી આવા બેનરોથી શોર્ટસર્કિટનો ભય રહેતો હોય તાત્કાલીક હટાવવાનો હુકમ થવા વિનંતી કરી છે.