પોરબંદર
પોરબંદરમાં સ્વર્ગવાસ પામેલા મિત્રની પાછળ કેટલાક મિત્રો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કડીયા પ્લોટ ખાતે યોજાયેલ આ કેમ્પમાં પાંચસોથી પણ વધારે દર્દીઓના નિદાન સાથે સારવાર કરવામાં આવી હતી, તો રપ૦ કરતા વધુ આંખના દર્દીઓને વિનામૂલ્યે નંબરવાળા ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
પોરબંદરના કડીયા પ્લોટ વિસ્તારમાં રહેતા રમેશભાઈ વિંઝુડા નામના સેવાભાવી યુવાનનું એકાદ વર્ષ પૂર્વે હ્રદયરોગના હુમલાથી અચાનક અવસાન થયું હતું.રમેશભાઈ વિંઝુડા અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા.એટલું જ નહીં, પરંતુ પોરબંદરના અનેક વિસ્તારોમાં તેઓ સેવાકીય કાર્ય કરતા હતા. એકાદ વર્ષ પૂર્વે માત્ર ગણતરીની સેકન્ડોમાં જ અચાનક હ્રદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું હતું.ત્યારે તેમના સ્મરણાર્થે તેમના મિત્રો અને તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
કડીયા પ્લોટ વિસ્તારમાં કામદાર ચોક ખાતે આવેલી સરકારી પ્રાથમિક શાળામાં આ કેમ્પ યોજાયો હતો.જેમાં રમેશભાઈના પરિવારમાંથી દિનેશભાઈ વિંઝુડા,સંતોકબેન વિંઝુડા તેમજ પાયોનીયર કલબના જયેન્દ્રભાઈ ખુંટી, કિશનભાઈ રાઠોડ અને એપેડમીક જિલ્લા આરોગ્ય અધિકારી ડોકટર કરમટા સહિતનાઓના હસ્તે રમેશભાઈ વિંઝુડાને પુષ્પાંજલી અર્પણ કરી આ કેમ્પ ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.જે કેમ્પમાં સ્ત્રી રોગ અને પ્રસુતિ નિષ્ણાંત ડોકટર રવિન ધોકીયા તેમજ ડોકટર હિતેશ રંગવાણી,ડોકટર દેવલબેન વદર અને ફિઝીયોથેરાપીસ્ટ ડોકટર સિધ્ધાર્થ ગોકાણી,ડોકટર રિતીજ્ઞા ગોકાણી,ડોકટર રાહુલ કોટીયા,લેબ ટેકનિશીયન રાજેશ કક્કડ તથા દક્ષાબેન વાજા તેમજ આયુર્વેદના નિષ્ણાંત ડોકટર ભરત ચૌહાણ અને ભાવસિંહજી હોસ્પિટલના આંખ વિભાગના આસીસ્ટન્ટ કાજલબેન મોરી સહિતનાઓએ વિનામૂલ્યે આ કેમ્પમાં સેવા આપી માનવતા મહેંકાવી હતી.
આ કેમ્પમાં બી.પી.,ડાયાબીટીસ સહિતના જનરલ રોગ,હાડકાના રોગ,આંખના રોગ,ચામડીના રોગ તથા સ્ત્રી રોગ અંગેના દર્દીઓનું નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી.તો દવાનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કડીયા પ્લોટ સહિતના આસપાસના વિસ્તારના ઉપરાંત ગ્રામ્ય વિસ્તાર ના મળી લગભગ પાંચસો કરતા પણ વધારે દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો.
તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ છેલ્લા ૧૦ વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ સાથે જાેડાયેલી સંસ્થા છે.આ કેમ્પની ખાસીયત એ હતી કે જરૂરીયાતમંદ લોકોની આંખની તપાસ તેમજ ચશ્માના નંબર વિનામૂલ્યે કાઢી આપવામાં આવ્યા હતા.એટલું જ નહીં,પરંતુ રપ૦ જેટલા તમામ જરૂરીયાતમંદ લોકોને વિનામૂલ્યે નંબરવાળા ચશ્માનું વિતરણ પણ સ્થળ પરથી જ કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ અશોક થાનકી,ઉપપ્રમુખ નિપુલ પોપટ અને મહામંત્રી સચીન મદલાણી તેમજ પાયોનીયર કલબના જયેન્દ્રભાઈ ખુંટી તેમજ લાલાભાઈ કારીયા,કિશન રાઠોડ, દિનેશ વિંઝુડા, સંતોકબેન વિંઝુડા અને તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી.તથા આર્થિક સહયોગ પાયોનીયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય ના પ્રવીણભાઈ ખોરાવા તથા શહેર યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી નો હતો.
જુઓ આ વિડીયો