પોરબંદર
કચ્છના માંડવીથી શરૂ થયેલી સાગર પરિક્રમાનું પ્રથમ ચરણ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં સાગર પુત્રોના અનેરા ઉત્સાહ વચ્ચે કેન્દ્રીય મત્સ્ય પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ના અધ્યક્ષ સ્થાને સંપન્ન થયું હતું.
પોરબંદરના પાલાનો ચોક વિસ્તારમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની મત્સ્ય વિભાગની કલ્યાણકારી યોજનાઓના લાભો માછીમાર પરિવારો ને હાથોહાથ આપી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં માછીમારો માટે ની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સાગર પરિક્રમાને એક પ્રવાસ નહીં પરંતુ માછીમારોના કલ્યાણ સુખ-સુવિધા અને સગવડો આપવાના અભિયાનમાં એક મહત્વનું સોપાન છે તેમ જણાવીને મંત્રીએ કહ્યું હતું કે નાનામાં નાના માછીમારોને મદદ કરીને દેશની વિકાસયાત્રામાં તેમને જોડીને એક એક પરિવાર સુધી સરકાર ના લાભો પહોંચે તેવા નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ.
કેન્દ્રીય મંત્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહ્યું કે જેમ ખેડૂતોને ઝીરો ટકા ના દરે ધિરાણ આપવામાં આવે છે તેમ કિસાન ક્રેડિટ કાર્ડ અન્વયે પશુપાલન તેમજ માછીમાર ભાઈઓને પણ ધિરાણ આપવામાં આવશે. આ લાભો આપવામાં આવી રહ્યા છે. માછીમારોને વ્યાજનો બોજ ન આવે તે માટે સરકારની પ્રતિબધ્ધતા તેઓએ વ્યક્ત કરી હતી. ગુજરાત સરકારે પણ માછીમારોને ધિરાણમાં ચાર ટકા છૂટ આપવાનો નિર્ણય બે દિવસ પહેલાં જ લીધો છે તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા પણ રાહત આપવામાં આવી રહી છે .આમ ખેડૂતોની જેમ જ માછીમારો અને પશુપાલકોને લાભ મળશે
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારનો સમય મત્સ્ય સંવર્ધન અને જતન તેમજ જાળવણીનો પણ છે. આ સંદર્ભે તેઓએ કહ્યું કે સાગરખેડુની કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના પરિવાર સુધી પહોંચે તે માટે દેશના આઠ હજાર કિ.મી દરિયાકાંઠે યાત્રા કરીને આ જનજાગૃતિ થકી સાગરખેડુ મુખ્યધારામાં જોડાય તેવો પણ અમારો અભિગમ છે. આ સંદર્ભે મંત્રીશ્રીએ મત્સ્ય સંવર્ધન માટે કેજ કલ્ચર અપનાવવા અને જીવસૃષ્ટિની સુરક્ષા માટે દરીયાઇ માછીમારી સંસાધનોના ઉપયોગ વચ્ચે ટકાઉ સંતુલન પર પણ ભાર મૂક્યો હતો.
પોરબંદરમાં કેન્દ્રીય મંત્રીએ માછીમાર ખારવા સમાજ ના પંચાયત મંદિરના પણ દર્શન કર્યા હતા. આ સંદર્ભે માછીમાર સમાજની અને તેના વડવાઓ ની વ્યવસ્થા અંગે પ્રભાવિત થઈને જણાવ્યું હતું કે પંચાયતને મંદિરનો દરજ્જો આપીને આ સમાજે ગરિમા અને ગૌરવ પુર્ણકામ કર્યું છે. સાગરખેડુ ની જિંદાદિલી દરિયાદિલી અને લોક સંસ્કૃતિ ને યાદ કરી ને મંત્રી એ આ વ્યવસ્થાઓ ની વાત પ્રેરણાદાયી હોવાથી સંસદમાં પણ કરવી છે તેમ જણાવ્યું હતું.
મંત્રીએ સરકારની યોજનાઓના કલ્યાણકારી લાભો માછીમાર ભાઈઓને મળે તે માટે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ને બિરદાવી કલેકટર-ટીમને અભિનંદન આપ્યા હતા. દરિયામાં ઢોલ વગાડીને પરિક્રમાનનું સ્વાગત કરવામાં આવ્યું અને સફળ કાર્યક્રમ કરવા બદલ સૌને અભિનંદન આપ્યા હતા. મંત્રીએ રાજય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત પણે લાભ આપવામાં આવી રહ્યા છે તે સુવિધાનો લાભ લઇ સૌનુ કલ્યાણ થાય -પગભર બને તે માટે શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે મત્સ્યોદ્યોગ વિભાગ (સ્વતંત્ર હવાલો )રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીએ કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ને સાગર પરિક્રમા આયોજન બદલ અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાગરખેડૂને વધુ ને વધુ વિવિધ યોજનાના લાભો મળે તે માટે કટિબદ્ધ છે. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપતાં મંત્રી જીતુભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે માછીમારોને ડીઝલ કવોટામાં ૨૦૦૦ લીટરનો વધારો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. ડીઝલ ની સબસીડી લાભાર્થીઓને તેના બેંક ખાતામાં સીધી જમા થાય તે માટેની પ્રક્રિયા જલ્દી પૂર્ણ કરવામાં આવશે હવે આ સહાય સીધી જ ઓનલાઈન જમા થશે.
ગીર સોમનાથ -પોરબંદર જિલ્લાના સહિતના બંદરોમાં ડ્રેજીંગની કામગીરી રૂ.૬૧ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે અને તે પૈકી રૂપિયા ૨૧ કરોડ ની કામગીરીની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાગરખેડુ માટે બજેટમાં પણ વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે તેની માહિતી મંત્રીએ આપી હતી.
માછીમારોને અપાતું ડીઝલ પર વેટ રિફંડ આગામી પખવાડિયા માં ચૂકવવા અંગેની કાર્યવાહી વહેલાસર પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવતા મંત્રીના આ નિર્ણયને માછીમાર ભાઈઓએ વધાવી લીધો હતો. પોરબંદરના માછીમારો ને રૂપિયા ૪૦ કરોડની રાહત થશે.
આ પ્રસંગે સાગરખેડુઓને મંત્રીઓના હસ્તે સરકારની વિવિધ યોજના જેવી કે કે.સી.સી ,જૂથ અકસ્માત વીમા સહાય ,મરીન એન્જિન ની ખરીદી પરસહાય,આઇ.બી.એમ.ઓબી.એયંત્રની ખરીદી પર સહાયના ચેક અને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભારત સરકાર મત્સ્ય વિભાગના સચિવ જે. એન.સ્વેને સાગર ખેડુની આવક બમણી થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો ની માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ રમેશભાઈ ધડુક, સાંસદ રામભાઈ મોકરીયા,ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા,કલેકટર અશોક શર્મા ,કોસ્ટ ગાર્ડના ડીઆઈજી એસ.કે.વર્ગીસ,જોઇન્ટ સેક્રેટરીજે.બાલાજી, મત્સ્યઉદ્યોગ નિયામક નીતીન સાગવાન, ડીડીઓ વી કે અડવાણી,ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ, મુકેશભાઈ પાંજરી,મહેન્દ્રભાઈ જુન્ગી, ભરતભાઈ પંડયા,વેલજીભાઈ મસાણી સહિતના આગેવાનો અને ખારવા સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર આયોજન ને પાર પાડવા નાયબ નિયામક , મત્સ્ય ઉધોગ કચેરી મેહુલભાઈ થાનકી એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.અને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.
જુઓ આ વિડીયો
પરસોત્તમ રૂપાલા નું કિર્તીમંદિર ખાતે સ્વાગત કરાયું જુઓ વિડીયો