પોરબંદર
પોરબંદરના દેગામ ગામે મહેર સમાજ ખાતે ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો.કૃષિ અને પશુપાલન મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારની વિવિધ ૧૩ યોજનાના લાભાર્થીઓને સહાય અને કીટનુ વિતરણ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યુ હતુ.આ તકે હિમાચલ પ્રદેશના શિમલા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો કાર્યક્રમ ઉપસ્થિત મહેમાનો તથા લાભાર્થીઓએ નિહાળ્યો હતો.
જિલ્લાકક્ષાના કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પ્રભારી મંત્રી કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જન કલ્યાણની યોજનાઓ ની હારમાળા સર્જીને ઘર ઘર યોજનાઓ પહોંચાડીને દેશને સમૃદ્ધ, સશક્ત, કુપોષણ મુક્ત અને આત્મનિર્ભર બનાવવા ભગીરથ કાર્યો કરી નવા ભારતનું નિર્માણ કર્યું છે.બેટી બચાવો થી બેટી પઢાવો,કુપોષણ મુક્ત ભારત,પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના,કિસાન સન્માન નિધિ યોજના,મહિલા અને બાળ વિકાસ ને લગતી યોજનાઓ,સ્વચ્છ ભારત મિશન, સ્કિલ ઈન્ડિયા સહિત અનેક યોજનાઓ શરૂ કરીને જન જનને તેના લાભો પહોંચાડ્યા છે.
ઉપરાંત રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના, કિસાન સૂર્યોદય યોજના, સાત પગલા ખેડૂત કલ્યાણ ના, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના સહિત યોજનાઓથી છેવાડાના માનવીને પણ વિકાસના પથ પર જોડવાનું કામ કર્યું છે. વધુમાં તેઓએ ઉમેર્યુ હતું કે, ખેડૂતોને દિવસે વિજળી મળે તે માટે ૨૫૦૦ ગામોને આવરી લેવાયા છે. અને બાકીના તબક્કાઓ આગામી સમયમાં પુર્ણ કરાશે.
પોરબંદર જિલ્લામાં ગરીબ કલ્યાણ સંમેલન કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ મંત્રીએ આ તકે જિલ્લા કલેક્ટર તથા ટીમ પોરબંદરની અભિનંદન પાઠવ્યા હતા.
કલેકટર અશોક શર્માએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે,આ કાર્યક્રમનો મુખ્ય હાર્દ છેવાડાના માનવી સુધી યોજનાઓ પહોંચે તથા તેઓને સરકારની તમામ યોજનાની જાણકારી મળે એ મુખ્ય હાર્દ છે. કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓના સ્ટોલની ઉપસ્થિત તમામ લોકો મુલાકાત લેવાની સાથે વધુ ને વધુ લોકો યોજનાઓનો લાભ લઈને સમૃદ્ધ બને તેવી અપીલ કરી હતી. યોજનાઓના લાભો મેળવવાની સાથે શિક્ષણ અને સંસ્કારથી પોરબંદર જિલ્લો પ્રકાશિત થાય તેવી આશા વ્યક્ત કરી હતી. તથા યોજનાઓનો લાભ જિલ્લાના તમામ લાભાર્થીઓ સુધી પહોચે તે માટે ટીમ પોરબંદર કટીબધ્ધ છે તેમ જણાવ્યુ હતુ.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા યોજનાઓના લાભાર્થીઓએ સ્ટેજ પરથી પોતાના પ્રતિભાવો વ્યક્ત કરી જીવનમા આવેલા ગુણાત્મક પરિવર્તનની વાત કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, નિવાસી અધિક કલેકટર એમ. કે. જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયા, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા સહિત મહેમાનો, જુદા જુદા ગામોના સરપંચશ્રીઓ,ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન પૂજાબેન રાજાએ કર્યું હતું.
કાર્યક્રમ બાદ મીડિયા દ્વારા હાર્દિક પટેલ ના ભાજપ માં પ્રવેશ મુદ્દે પૂછતા રાઘવજીભાઈ એ એવું જણાવ્યું હતું કે હાર્દિક ભાજપ માં પ્રવેશ કરશે કે કેમ તેની મને ખબર નથી પરંતુ તેણે કોંગ્રેસ છોડી છે તેનો મને આનંદ છે પોતે પણ વર્ષો સુધી કોંગ્રેસ માં કામ કર્યું હતું અને કોંગ્રેસ ની દશા,દિશા અને માનસિકતા નો અનુભવ કર્યા પછી વડાપ્રધાન મોદી નું નેતૃત્વ તેઓએ સ્વીકાર્યું હતું તે રીતે હાર્દિક ને પણ કોંગ્રેસ ની માનસિકતા અને રાજકારણ નો અનુભવ થયો અને તે અનુભવ નો તેણે જાહેર માં પર્દાફાશ કર્યો તેનો પણ આનંદ થયો છે નરેશ પટેલ અંગે પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે ભાજપે કોઈ ને પક્ષમાં લાવવા માટે ક્યારેય પ્રયત્ન કર્યો નથી ભાજપ એ મહાસાગર છે અનેક નદીઓ તેમાં ભળે છે જેઓને ભાજપ ની વિચારધારા અને વડાપ્રધાન મોદી અને અમિતભાઈ શાહ નું નેતૃત્વ મંજુર હોય અને લોકસેવા કરવા માંગતા હોય તેઓ ભાજપ માં આવે છે.