પોરબંદર
પૂજ્ય સંત શિરોમણી શ્રી બાબુજતીબાપુની જગ્યા,શ્રી શિવ શક્તિ આશ્રમ ખાતે તા. ૧૦ થી ૧૬ એપ્રિલ સુધી યોજાનાર શ્રી રામદેવજી મહારાજના ભવ્ય મંડપ મહોત્સવ માટે આશ્રમના મહંત શ્રી ક્રિષ્નજતીબાપુ ગુરુ શ્રી બાબુજતીબાપુની આગેવાની હેઠળ સેવકો અને છાંયાના તમામ સમાજોના લોકો દ્વારા ખૂબ જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.તા. ૧૦ મંડપ સ્થાપનથી તા. ૧૬ સુધી સતત ૭ દિવસ સુધી દરરોજ હજારો લોકો માટે ભોજન મહા પ્રસાદી,શુદ્ધ પીવાનું પાણી, ચા સહિતની વ્યવસ્થાઓ,સ્વચ્છતા જાળવવી,દરરોજ બપોરે સામૈયા,રાત્રે સંતવાણી લોકડાયરા રાસ ગરબા સહિતના કાર્યક્રમોની તૈયારીઓ માટે સવારથી લઇ મોડી રાત સુધી ૧૦૦૦ થી વધુ સેવકો ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.જેમાં ગ્રાઉન્ડ લેવલીંગ,રસોઈ માટે ૧૧ મોટા ચૂલાઓ,બેનરો લગાવવા,સફાઈ,પાણી છંટકાવ સહિતની કામગીરીઓ ધમધોકાર ચાલી રહી છે.ભવ્યાતિભવ્ય ઉજવણી માટે સૌ તન મન ધન થી સહકાર આપી રહ્યા છે.
આ તમામ દિવસોમાં ભજન ભોજનનો લ્હાવો લેવા જાહેર જનતાને સહ પરિવાર પધારવા માટે શિવ શક્તિ આશ્રમ મહંત શ્રી ક્રિષ્નજતીબાપુ,સેવકો અને સમસ્ત નવાપરા છાયા ગામ દ્વારા ભાવ ભર્યું નિમંત્રણ છે.