પોરબંદર
પોરબંદર ના મિયાણી ગામે વહીવટીતંત્ર દ્વારા દરોડો પાડવામાં આવતા સાત સ્થળો એ સરકારી જમીન માં અને ત્રણ સ્થળો એ ખાનગી જમીન માંથી ખનીજચોરી ઝડપાઈ છે.તંત્ર એ સ્થળ પર થી એક કરોડ થી વધુ નો મુદામાલ કબજે કરી ખાણ ખનીજ વિભાગ ને જાણ કરતા ખાણખનીજ વિભાગે માપણી હાથ ધરી છે.
પોરબંદર જીલ્લા માં મિયાણી થી માધવપુર સુધી ની દરિયાઈ પટ્ટી પર બેફામ ખનીજચોરી ચાલી રહી છે.ખનીજચોરો લાઈમ સ્ટોન,બિલ્ડીંગ સ્ટોન ઉપરાંત દરિયાઈ અને નદી ની રેતીની પણ અવિરતપણે ખનીજચોરી કરી રહ્યા છે.તેમ છતાં ખાણખનીજ ખાતું ઊંઘતું હોય તેવો વધુ એક મામલો સામે આવ્યો છે.
મીયાણી ગામે ગેરકાયદેસર ખાણો ધમધમતી હોવાની જીલ્લા કલેકટર અશોક શર્મા ને માહિતી મળતા તેઓએ આ અંગે પ્રાંત અધિકારી કે.વી. બાટી,ગ્રામ્ય મામલતદાર શ્રીમતી બી.એચ.કુબાવત તથા પીઆરઓ સંદીપસિંહ જાદવ ને આ અંગે દરોડા પાડવા સુચના આપતા ત્રણેય અધિકારીઓ ની ટીમે મિયાણી ગામે દરોડા પાડતા ફૂલવાડી વિસ્તારમાં અનધિકૃત ખનન મળી આવ્યું હતું.જેમાં સાત જેટલી સરકારી જમીન પર તથા ત્રણ સ્થળો એ ખાનગી જમીન કે જેમાં રામદે વજશી,કારૂભા વરજાંગભા જડીયા અને પ્રવિણ અરજણ ગરેજા નામના લીઝ ધારકો ની લીઝ બહાર ખોદકામ થયું હોવાનું સામે આવ્યું હતું.આથી સ્થળ પર થી તેઓએ દરમિયાન બાર જેટલા પથ્થર કટિંગ મશીન, બે જનરેટર, બે ટ્રેકટર,એક હીટાચી,બે ટ્રક,એક લોડર અને એક ટ્રેલર સહિત કુલ રૂપીયા ૧ કરોડ થી વધુ કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો.અને સ્થળ પર થી કેટલી ખનીજચોરી થઇ છે.તે અંગે તપાસ માટે ખાણખનીજ વિભાગ ની ટીમ ને સ્થળ પર બોલાવી હતી.અને રાબેતા મુજબ ખાણખનીજની ટીમે સર્વે શરુ કરી પોતાની ફરજ બજાવી હતી.
સર્વે પૂર્ણ થયા બાદ સ્થળ પર થી કરોડો ની ખનીજચોરી સામે આવે તેવી શક્યતા છે.ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પીજીવીસીએલ દ્વારા બળેજ ગામે ગેરકાયદેસર ખાણ ઝડપી હતી.અગાઉ વહીવટીતંત્ર એ ગેરકાયદેસર ખાણો ઝડપી છે. પરંતુ જેની ખરેખર ગેરકાયદે ખનન અટકાવવાની ફરજ છે.તે ખાણખનીજ વિભાગ દર વખતે ઊંઘતું ઝડપાયું છે.જેથી ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીના કારણે ખાણખનીજ વિભાગ ખનીજચોરી સામે આંખ આડા કાન કરતું હોવાની ચર્ચા એ સમગ્ર પંથક માં જોર પકડ્યું છે.