પોરબંદર
પોરબંદર નાં રાતડી ગામે બે કરોડ ઓગણીસ લાખની ખનીજ ચોરી અંગે ૧૧ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બે માસ પહેલા જીલ્લા કલેકટરની સુચનાથી પાડવામાં આવેલા દરોડામાં નોટીસ પાઠવાતા દંડની રકમ ભરપાઈ નહી કરતા અંતે ખાણખનીજ ખાતા દ્વારા ફરીયાદી બની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના માધવપુરથી મીંચાણી સુધીની દરિયાઇ પટ્ટી ઉપર વરસો થી ખનીજચોરી ચાલી રહી છે.ત્યારે બે માસ પહેલા કલેકટર ની સુચના થી વહીવટીતંત્ર દ્વારા તા. ૧૫/૧૧ ના રોજ રાતડી ગામે ગેરકાયદેસર ખાણો પર મેગા ઓપરેશન હાથ ધરાયું હતું.જેમાં રપ જેટલી ચકરડી,૮ ટ્રેકટર,૩ ટ્રક અને ર લોડર મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ખનીજચોરો ને દંડ ફટકારવામાં આવ્યો હતો.પરંતુ દંડ ની રકમ ન ભરતા ખાણ ખનીજ ખાતાના રોયલ્ટી ઈન્સ્પેકટર ભાવેશકુમાર સાધુએ મીંયાણી મરીન પોલીસ મથક માં પોલીસ ફરીયાદ નોંધાવી છે.
જેમાં જણાવ્યું છે કે તા. ૧૫/૧૧ ના રોજ તંત્ર દ્વારા પાડવામાં આવેલ દરોડા માં તપાસ હાથ ધરતા કુલ ત્રણ જગ્યાએથી ખનન થયું હોવાનું બહાર આવ્યું હતું.જેમાં એક સ્થળે ખાણના માલિક નાગાજણ ભુરા મોઢવાડીયા,રામ કરશન મંડેરા, રામ જખરા ભુતિયાની માલિકીની હતી.જયારે બીજી ખાણ પરબત રામ મોઢવાડીયા,આતિયા મેરામણ ખુંટી,ભીમા મેરામણ ખૂંટી,લીલા મેરામણ ખુંટીની હતી.ત્રીજી ખાણ વિજય મગન રૂપારેલ,જસ્મીન મગન રૂપારેલ,અતુલ મગન રૂપારેલ અને કાંધા ગીંગા મોઢવાડીયાની માલિકીની હતી.
આ ત્રણે જગ્યાએ ગેરકાયદેસર ખનન થતું હોવાનું જણાતા ખાણ ખનીજખાતાએ તેઓને નોટીસ મોકલીને સમાધાન માટે દંડની રકમ ભરવા જણાવ્યું હતું.કારણદર્શક નોટીસથી દંડ ભરવાનું જણાવાયું હોવા છતાં તેઓએ દંડ ભર્યો ન હતો.જેથી પોલીસે આ બનાવમાં કુલ ૧૧ શખ્સો સામે નામજોગ ગુન્હો નોંધ્યો છે.જેમાં રાતડીના નાગાજણ ભુરા મોઢવાડીયા, પોરબંદરના મીલપરા શેરી નં. ૯માં રહેતા આશીષસિંહ પ્રવિણસિંહ રાઠોડ,ભારવાડાના લખમણ વેજાણંદ રાણાવાયા, પોરબંદરના ઠકકર પ્લોટમાં રહેતા અતુલ મગન રૂપારેલ ઉતરાંત રાતડીના પરબત રામ મોઢવાડીયા,આતીયા મેરામણ ખુંટી,ભીમા મેરામણ ખુંટી,લીલા મેરામણ ખુંટી,વિજય મગન રૂપારેલ,જસ્મીન મગન રૂપારેલ,કાંધા ગીગા મોઢવાડીયા વગેરે ૧૧ શખ્સો અને એ સિવાયના જે કોઇના પણ નામ ખુલે એની સામે ફરિયાદ નોંધાવી છે.
આ ૧૧ શખ્સોએ કુલ ૪૩,૫૩૦.૭૬ મેટ્રીક ટન બિલ્ડીંગ સ્ટોનની ચોરી કરી હોવાનું જણાવ્યું છે.જેની કિંમત બે કરોડ ઓગણીસ લાખ નેવ્યાશી હજાર પાંચ સો ત્રણ થાય છે..પોલીસે પોલીસે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.ફરિયાદ નાં પગલે ખનીજચોરો માં ફફડાટ જોવા મળે છે.